લખનૌ: શેરડીની ચુકવણીમાં વિલંબને લઈને ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ શુક્રવારે સીતાપુર જિલ્લામાં મહેમૂદાબાદ કો-ઓપરેટિવ શુગર મિલ સામે વિરોધ પ્રદર્શન કર્યું. ખેડૂતોએ જણાવ્યું હતું કે શેરડીની પીલાણ સીઝન આ મહિનાની શરૂઆતમાં સમાપ્ત થઈ ગઈ હતી, પરંતુ રૂ. 15 કરોડથી વધુની ચુકવણી બાકી હતી. ધોરણો મુજબ, ખરીદીના 14 દિવસની અંદર ચુકવણી ક્લિયર કરવી જોઈએ. ખેડૂતો અનાજ બજારમાં એકઠા થયા હતા અને તેમની માંગના સમર્થનમાં રેલી કાઢી હતી. તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ વર્ષે તેઓને ઘઉં, સરસવ અને બટાકાના પાકને નુકસાન થયું છે અને હવે શેરડીની ચૂકવણી અટકી ગઈ છે.
ન્યૂઝક્લિકમાં છપાયેલા સમાચાર મુજબ, વિરોધીઓએ કહ્યું, સરકારે ખેડૂતોની દુર્દશા પર કોઈ ધ્યાન આપ્યું નથી. અમે લગભગ એક મહિનાથી ધરણા કરી રહ્યા છીએ, પરંતુ કોઈ ફાયદો થતો નથી. કિસાન મંચના જિલ્લા સચિવ અંબુજ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, દર વર્ષે શેરડીના ખેડૂતોને તેમની ચુકવણી માટે વિરોધ કરવાની ફરજ પાડવામાં આવે છે. શેરડીનું પિલાણ 20 મેના રોજ સમાપ્ત થયું હતું અને 15 કરોડથી વધુની ચુકવણી હજુ બાકી છે. ખેડૂતોને તેમના ખર્ચને પહોંચી વળવા પૈસાની જરૂર છે. ખેડૂતોએ કહ્યું કે, અમને માત્ર ખાતરી આપવામાં આવી રહી છે. અમે પેમેન્ટ માટે 15મી જુલાઈએ જોરદાર વિરોધ કરવાનું નક્કી કર્યું છે.