ત્રિવેણી એન્જિનિયરિંગ યુપીમાં બે ડિસ્ટિલરી સ્થાપવા માટે રૂ.460 કરોડનું રોકાણ કરશે

નવી દિલ્હી: ખાંડ ઉત્પાદક ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પેટ્રોલ સાથે મિશ્રણ કરવા માટે ઇથેનોલની વધતી માંગ વચ્ચે ઉત્તર પ્રદેશમાં બે નવી ડિસ્ટિલરી સ્થાપવા માટે રૂ.460 કરોડનું રોકાણ કરશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઉત્તર પ્રદેશના રાની નાંગલ અને સબીતગઢ ખાતે 450 કિલોલીટર પ્રતિ દિવસની કુલ ક્ષમતા સાથે બે નવા ડ્યુઅલ ફીડસ્ટોક (શેરડીના ડેરિવેટિવ અને અનાજ) ડિસ્ટિલરી સ્થાપવા માટે વિસ્તરણ કાર્યક્રમને મંજૂરી આપી છે.

સૂચિત વિસ્તરણથી કુલ ડિસ્ટિલરી ક્ષમતા વધીને 1,110 કિલોલીટર પ્રતિ દિવસ થશે.

આ બે પ્લાન્ટ સ્થાપવા પાછળ કુલ 460 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ ડિસ્ટિલરીઝ નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ક્વાર્ટરમાં વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરે તેવી અપેક્ષા છે.

ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ધ્રુવ એમ સાહનીએ જણાવ્યું હતું કે, “અમે ડિસ્ટિલરી સેગમેન્ટની કામગીરીથી ઉત્સાહિત છીએ. નાણાકીય વર્ષ 2021-22માં કાર્યરત 320 KL પ્રતિ દિવસની ક્ષમતાની સામે, અમારી પાસે હાલમાં 660 KL પ્રતિ દિવસની ક્ષમતા છે, જેના પરિણામે ડિસ્ટિલરી સેગમેન્ટના ટર્નઓવર અને નફામાં નોંધપાત્ર વધારો થશે.”

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 28 ટકા ઘટીને રૂ. 66.45 કરોડ થયો છે જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 92.30 કરોડ હતો. કામગીરીમાંથી કંપનીની કુલ આવક રૂ. 1,111.46 કરોડથી વધીને રૂ.1,361.48 કરોડ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here