લખનૌ: ઉત્તર પ્રદેશ સરકારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત લગભગ 2 લાખ ખેડૂતોને તેમના પાકના નુકસાન માટે વળતર આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને વરસાદને કારણે ડાંગર અને શેરડી જેવા પાકને થયેલા નુકસાનનું જરૂરી મૂલ્યાંકન કરવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યમાં અતિવૃષ્ટિ અને પૂરને કારણે લગભગ 2 લાખ ખેડૂતો છે જેમના પાકને નુકસાન થયું છે. તેમણે કહ્યું કે મહેસૂલ અને કૃષિ વિભાગના સર્વે બાદ ખેડૂતોને વળતર આપવામાં આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ્ય સરકારના પ્રવક્તા અનુસાર, ‘કોઈપણ ખેડૂત કે જેના પાકને નુકસાન થયું છે, તેને વહેલામાં વહેલી તકે નિયમો અનુસાર વળતર આપવામાં આવશે. મહેસૂલ અને કૃષિ વિભાગને એકબીજા સાથે સંકલન કરીને આ કામ અગ્રતાક્રમથી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્ય સરકાર વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં તમામ જરૂરી રાહત અને પુનર્વસન પગલાં લઈ રહી છે. પૂરના કારણે જે ખેડૂતોની કૃષિ પેદાશોને નુકસાન થયું છે તેઓને 68 કરોડ રૂપિયા આપવામાં આવશે.