નવી દિલ્હી: દેશમાં ઇથેનોલ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે તમામ મંત્રીઓ પ્રયાસો કરી રહ્યા છે. તેનાથી પ્રદુષણ તો ઘટશે જ સાથે વિદેશી હૂંડિયામણની પણ બચત થશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે જો ભારત 2025 સુધીમાં પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ મિશ્રણનું લક્ષ્ય હાંસલ કરે છે, તો તે લગભગ એક લાખ કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવશે.
કેન્દ્ર સરકારની ઇથેનોલ સંમિશ્રણ નીતિ હવે સકારાત્મક અસર દર્શાવે છે, એમ તેમણે જણાવ્યું હતું. આ નીતિએ એક તરફ ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા કરોડો લોકોના જીવનમાં પરિવર્તનનો પાયો નાખ્યો છે તો બીજી તરફ દેશના કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવવામાં પણ મદદ કરી છે. જૂન 2021 માં, સરકારે નવેમ્બર 2022 સુધીમાં પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ મિશ્રણ હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે પાંચ મહિના પહેલા પ્રાપ્ત થયો હતો. મંત્રી શાહે સુરતમાં KRIBHCOના બાયો ઇથેનોલ પ્લાન્ટનો શિલાન્યાસ કર્યા બાદ જાહેર સભાને સંબોધી હતી.
મંત્રી શાહે કહ્યું કે, આગામી દિવસોમાં ઇથેનોલનું ઉત્પાદન પેટ્રોલિયમ ક્ષેત્રની સમગ્ર અર્થવ્યવસ્થાને બદલી નાખશે. ક્રૂડ ઓઈલની આયાત પર દેશની નિર્ભરતા ઘટાડવા માટે બાયોફ્યુઅલ એ સારો વિકલ્પ છે, એમ તેમણે જણાવ્યું હતું. સમગ્ર વિશ્વમાં પ્રયાસો થઈ રહ્યા છે, ભારતે આને હાંસલ કરવા માટે એક વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક ઈથેનોલ નીતિ તૈયાર કરી છે.