નવી દિલ્હી: ભારતના દૈનિક કોવિડ -19 કેસોમાં શનિવારે તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને શુક્રવારની તુલનામાં 11,835 ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર શુક્રવાર સુધીમાં 1,32,364 કેસ નોંધાયા હતા, જ્યારે શનિવારે કોવિડ-19 કેસના 1,20,529 કેસ નોંધાયા હતા. દેશમાં સતત નવ દિવસ સક્રિય કેસ 2 લાખ કરતા ઓછા છે. દૈનિક પોઝિટિવિટી દર સતત ઘટીને 5.78 ટકા નીચે આવી છે, જે સતત 12 દિવસ માટે 10 ટકાથી નીચે છે, જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી દર 6.89 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કારણે 3,380 લોકોનાં મોત સાથે, કુલ મૃત્યુઆંક 3,44,082 પર પહોંચી ગયો છે.
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, સતત 23 દિવસથી રોજના નવા કેસ કરતાં સાજા થનાર વધી જાય છે, અને છેલ્લા 24 કલાકમાં,1,97,894 દર્દીઓ સાજા થયા છે. ભારતમાં સાજા થતા દર્દીઓની સંખ્યા વધીને 2,67,95,549 થઈ છે અને રિકવર દર 93.38 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 22,78,60,317 રસી ડોઝ આપવામાં આવી છે.