દીપોત્સવી પર્વો પૂર્વે ગઈકાલે અને આજે પુષ્ય નક્ષત્રનો યોગ હોવા છતાં સોનાની ખરીદીમાં ભારે મંદી રહી હોવાનું ગોલ્ડ બજારના સુત્રોએ જણાવ્યું હતું. બજારમાં મંદીનો થઇ રહેલો અહેસાસ આજે સોની બજારે પણ અનુભવ્યો હતો. જો કે સોનાના ભાવો પણ ઘણા ઊંચા ગયા હોવાથી અને બજારમાં રોકડની વર્તાઈ રહેલી અછતના કારણે સીધી અસર સોના ચાંદીની ખરીદી ઉપર પડી છે. ગત વર્ષે પુષ્ય નક્ષત્ર ઉપર લગભગ ૨૦૦ કરોડ રૂપિયાના સોનાનું વેચાણ થયું હતું જેની સામે આ વર્ષે બે દિવસના પુષ્ય નક્ષત્રમાં તેના પાંત્રીશ ટકા જેટલું એલ્લે કે માટે ૭૦ કરોડ જેટલા જ સોનાનું વેચાણ થયાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
જો કે આગામી દિવસોમાં સોનાના ભાવો થોડાક ઘટશે તે પ્રકારની અપેક્ષા લોકોમાં સેવાઈ રહી છે. તેથી હાલ લગ્નગાળાની ખરીદી માટે લોકો થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે પરંતુ સોનાના ભાવો આંતર રાષ્ટ્રીય સ્તરેથી નક્કી થતા રહે છે. આ વર્ષે દુનિયાભરના દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા છેલ્લા એક વર્ષથી મોટા પાયે સોનાની ખરીદી ચાલી રહી હોવાથી આ ભાવો ઘટવાની કોઈ શક્યતા નહિ હોવાનું પણ બજારના વર્તુળો જણાવી રહ્યા છે.
જવેલર્સ એસોસીએશન ઓફ અમદાવાદના પ્રમુખ રોહિતભાઈ ચોક્સીના જણાવ્યા મુજબ અમદાવાદ અને તેની આજુબાજુના ઔડા વિસ્તારમાં દસ બાય દસથી માંડીને ૧૫ હજાર ચોરસ ફૂટના સોના ચાંદીના લગભગ આઠ હજાર જેટલા શો રૂમ્સ આવેલા છે. આ તમામ શો રૂમ્સમાં આજે ધાર્યા પ્રમાણે સોના- ચાંદીનું વેચાણ નહિ થતા મોટાભાગના શો રૂમ્સના સંચાલકોએ ભારે નિરાશા અનુભવી હતી અને તેની સાથે જ દિવાળી પણ ફિક્કી જ રહેશે તેવા અણસારો વ્યક્ત કર્યા હતા. તેમજ ભાવો વધવાના કારણે વેપારીઓનું રોકાણ વધવાની અને સામે દર વર્ષના પ્રમાણમાં આ વર્ષે સોનાની ઝાકમઝોળને મંદીનું ગ્રહણ લાગતા સોનાનો ચળકાટ પણ ઝંખવાઈ ગયાનો અફસોસ વ્યક્ત કર્યો હતો. અમદાવાદમાં આજે ૨૪ કેરેટ એટલે કે ૯૯.૯૯ ટકા સોનાનો દસ ગ્રામનો ભાવ રૂ. ૩૯,૪૦૦ ની આસપાસ રહ્યો હતો. આજની ખરીદી પાટલી રહ્વેની સાથે જો કે સોની બજાર હવે આગામી લગ્ન ગાળાની ખરીદી કેવી રહે છે તેના ઉપર નજર રાખીને બેઠું છે.