જમ્મુ અને કાશ્મીરની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ મંડળ મંગળવારે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત કરશે. આંતરરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળે સોમવારે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત કરી. પીએમ મોદીએ જમ્મુ અને કાશ્મીરના હાલાતની જાણકારી યુરોપિયન યુનિયનના સાંસદોને આપી.
કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પહેલીવાર કોઈ વિદેશી દળ કાશ્મીર જઈ રહ્યું છે. પ્રતિનિધિમંડળ રાજ્યના હાલાતની સમીક્ષા કરશે. 28 સભ્યોના આ આતંરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળે આજે એનએસએ અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી. અત્રેજણાવવાનું કે 5 ઓગસ્ટના રોજ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ યુરોપિયન યુનિયને આ મુદ્દે ભારતના પક્ષનું સમર્થન કર્યું હતું. તે સમયે યુરોપની સંસદમાં અનેક સાંસદોએ એક સૂરમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે ભારતનું સમર્થન કરવું જોઈએ કારણ કે પાકિસ્તાનમાં આતંકીઓને સંરક્ષણ મળે છે અને તે પાડોશી દેશમાં હુમલો કરે છે.
યુરોપિયન યુનિયને 11 વર્ષમાં પહેલીવાર કાશ્મીર મુદ્દે ચર્ચા કરી અને ખુલ્લે આમ ભારતનું સમર્થન કર્યું. જમ્મુ અને કાશ્મીરમાં મોટો નિર્ણય લેવાયા બાદથી પાકિસ્તાને લગભગ દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર આ મુદ્દો ઉઠાવ્યો હતો. આવામાં યુરોપિયન યુનિયનનું સકારાત્મક વલણ ભારત માટે યાદગાર સાબિત થયું હતું.