મંદી ક્યાં છે, મંદી હવામાં છે: ગુજરાતના મુખ્ય મંત્રી  વિજય રૂપાણીનું અનોખું બયાન 

દેશમાં બિનપરંપરાગત ઊર્જાના સ્ત્રોતના ઉપયોગ માટે ઝૂંબેશ ચાલી રહી છે. આ સંજોગોમાં ગુજરાત દેશમાં અગ્રેસ રહ્યું છે. સોલાર પોલીસ પર સીએમ રૂપાણીએ ગુરુવારે   પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી હતી.ત્યારે આ પ્રેસ કોન્ફરન્સમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલ પણ હાજર રહ્યાં હતા. આ અંગે ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગ્રીન ક્લિન એનર્જી ઉત્પાદનને વેગ આપાવની સાથે MSME એકમોએ ઊર્જા ઉત્પાદનનો વ્યાપક લાભ મેળવી શકે છે. એમએસએમઈ એકમો માટે સોલર પ્રોજેક્ટના ઇન્સ્ટોલેશનના મંજૂર લોડના 50 ટકા કેપેસિટીની મર્યાદા દૂર કરાઈ છે.હવે એમએસએમઈ એકમો મંજૂરી લોડના 100 ટકાથી વધારે ક્ષમતાની સોલર એનર્જી સ્થાપિત કરી શકશે.

જ્યારે સીએમ રૂપાણીને મંદી અંગે પુછવામાં આવ્યું ત્યારે સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે,’ભાઇ, અત્યારે અમારી પાસે આવા કોઇ આંકડા આવ્યાં નથી.મંદી એક હવા છે. અત્યાર સુધી કોઇ MSMEનાં એકમો સાવ બંધ થઇ ગયા તેવું પણ આપણી સામે આવ્યું નથી. જો તમે સમજો સરકાર પોલીસી આપે છે.ખાનગી લોકો ધંધો કરે છે. ભૂતકાળમાં આ બધા કહેતા હતાં કે આપણે ત્યાં પાવર ઘણાં જ મોંઘા છે તો રાજ્ય સરકારે દરવાજો ખોલ્યો છે.જો મંદીની વાત કરતા હશો તો આ તમને મંદીમાં ઉપયોગી થશે.રાજ્ય સરકાર લોકો માટે કામ કરનારી સરકાર છે.’

ઊર્જા મંત્રીએ વધુમાં જણાવ્યું કે,મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે MSME એકમો હાલ વીજ વપરાશ માટે વીજ કંપનીને રૂ.8 જેટલી રકમ આપે છે તે આવી સોલાર એનર્જીના ઉત્પાદનથી ઘટી જતાં અંદાજે 3 રૂપિયા જેટલો MSME એકમોને આર્થિક ફાયદો પણ થવાનો છે.એટલે કે જે MSME એકમો પોતાની જગ્યા કે જમીન પર સોલાર એનર્જી ઉત્પાદન કરે તો અંદાજે 3.80 રૂપિયા અને ભાડાની અન્યત્ર જગ્યા પર કરે તો અંદાજે 2.75 જેટલો ફાયદો થશે.

આ નિર્ણયની વિશેષતા એ છે કે MSME એકમ અન્ય પાર્ટી પાસેથી એટલે કે થર્ડ પાર્ટી પાસેથી પણ સોલાર એનર્જી સૂર્યઊર્જા ખરીદી શકશે.જો MSME એકમો પાસે સૌર વીજ ઉત્પાદન માટેની સહુલિયત ન હોય તો અન્યત્ર ભાડાની જગ્યામાં પણ તે સૌર ઊર્જા ઉત્પાદન કરીને ક્લિન ગ્રીન એનર્જી મેળવી શકશે. ઊર્જા મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે પહેલથી ગુજરાતમાં સૌરઊર્જા ઉત્પાદન કરતા MSME એકમો માટે વિન-વિન સિચ્યુએશન ઊભી થવાની નવી દિશા ખૂલી છે.

ઉલ્લેખનીય છે કે,સૌરઊર્જા ઉત્પાદન કરનારા આવા MSME એકમોએ ઇલેકટ્રીસિટી ડયુટી અને વ્હીલિંગ ચાર્જિસ નિયમ મુજબ ભરવાના રહેશે.તાજેતરમાં ગુજરાત સરકારે ‘સૂર્ય ગુજરાત (સોલાર રૂફટોપ) યોજના’ જાહેર કરીને ઘરગથ્થું વપરાશકારો માટે સૌરઊર્જા ઉત્પાદનને વ્યાપકપણે પ્રેરિત કર્યું છે.ગુજરાત સોલાર રૂફ ટોપમાં આઠ લાખ ઘરોને આવરી લેવાનો લક્ષ્યાંક 2022 સુધીમાં પૂર્ણ કરવા સજ્જ છે, ત્યારે હવે 33 લાખથી વધુ MSME એકમોને પણ ગ્રીન-ક્લિન સૌરઊર્જા માટે પ્રેરિત કરીને સમગ્ર રાજ્યમાં સ્વચ્છ-પ્રદૂષણ રહિત ઊર્જા ઉત્પાદનથી ગુજરાત સૌરઊર્જા ઉત્પાદનમાં પણ દેશમાં લીડ લેવા સજ્જ બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here