મહાલક્ષ્મી ટ્રેન પાણીમાં ફસાઈ: સેના અને NDRF દ્વારા 500 મુસાફરોને બચાવાયા

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 24 કલાકમાં મુંબઈમાં 150 થી 180 મિલીમીટર વરસાદ નોંધાયો છે. શનિવારે પણ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આ દરમિયાન લોકોને બહાર ન નીકળવાની ચેતવણી અપાઈ છે. સમુદ્ર તટે ન જવાની પણ સલાહ અપાઈ છે. ખરાબ હવામાનના કારણે અત્યાર સુધી 24 ફ્લાઈટને અસર થઈ છે.

મહાલક્ષ્મી એક્સપ્રેસ બદલાપુર અને વાંગની સ્ટેશનો વચ્ચે પાણીથી ભરેલા ટ્રેક પર ફસાઈ ગઈ છે. તેમાં ફસાયેલા 700 જેટલા મુસાફરોને બહાર કાઢવા માટે એનડીઆરએફની ટીમ રવાના થઈ ગઈ છે. અત્યાર સુધી રેલવે પ્રોટેક્શન ફોર્સ અને નગર પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ટ્રેનમાં ફસાયેલા મુસાફરોને બિસ્કિટ, પાણી જેવી જરૂરી સામગ્રીઓ આપી રહી છે. સેના દ્વારા 9 ગર્ભવતી મહિલાઓને પણ સલામત સ્થળે પહોંચાડી દેવામાં આવી છે.

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ મુંબઈગરાઓને હજુ પણ વરસાદથી રાહત મળે તેવું લાગતું નથી. શુક્રવારે હવામાન ખાતા તરફથી કરાયેલી આગાહી મુજબ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આંધી આવવાની પણ સંભાવના છે. વિભાગના જણાવ્યાં મુજબ આગામી 4 કાલક દરમિયાન થાણા, રાયગઢ અને મુંબઈમાં 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવવાની સંભાવના છે. આ ઉપરાંત કોંકણ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.
ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે રાજ્યમાં હવાઈ મુસાફરી પ્રભાવિત થઈ છે. છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા બે કલાકથી રાજ્યમાં ભારે વરસાદના કારણે લગભગ તમામ ફ્લાઈટ સરેરાશ અડધો કલાક લેટ છે. 7 ફ્લાઈટ કેન્સલ કરાઈ છે. જ્યારે 8 ફ્લાઈટ છેલ્લી ઘડીએ લેન્ડિંગ કેન્સલ થયા બાદ ફરીથી લેન્ડ થઈ શકી અને 9 ફ્લાઈટના રૂટ ડાઈવર્ટ કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here