મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે 2023-24ની શેરડીની પિલાણ સિઝનમાં રાજ્ય સરકાર માટે આવકના મહત્વના સ્ત્રોત એવા મોલાસીસની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ઓછા વરસાદને કારણે રાજ્યમાં આ પિલાણ સીઝનમાં શેરડીના ઉત્પાદનમાં 15 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. પિલાણ સિઝન 2023-24 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) અંગે ગુરુવારે મળેલી મંત્રીઓની સમિતિની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
શુગર કમિશનર ડૉ. ચંદ્રકાંત પુલકુંડવારે જણાવ્યું હતું કે, 2023-24ની પિલાણ સિઝન 1 નવેમ્બરથી શરૂ થશે. મોલાસીસના ઉત્પાદન એકમોને પણ નિયમનના દાયરામાં લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાંડના ઉત્પાદનની આડપેદાશ, મોલાસીસનો ઉપયોગ ઇથેનોલના ઉત્પાદન માટે પણ થાય છે, જે દેશના ઇથેનોલ સંમિશ્રણ કાર્યક્રમ માટે જરૂરી છે, એવા સમયે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે. ખાંડ ઉદ્યોગ શુગરકેન કંટ્રોલ ઓર્ડર દ્વારા નિયંત્રિત થાય છે, અને ખાંડની સિઝન શરૂ થવાની સત્તાવાર તારીખ પહેલાં કોઈપણ મિલ ખાંડનું ઉત્પાદન શરૂ કરી શકતી નથી.