રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવમાં વડા પ્રધાન મોદીએ કર્યું આધુનિક ભારતના નિર્માણ માટેનું આહવાહન

સંસદના બંને ગૃહના સંયુક્ત સત્રને રાષ્ટ્રપતિએ કરેલા અભિભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નવી ચૂંટાયેલી 17મી લોકસભાના પ્રથમ સત્રના બંને ગૃહના રાષ્ટ્રપતિએ સંબોધન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણનો આભાર માનતા દેશવાસીઓને ‘નયા ભારત’, ‘આધુનિક ભારત’ના નિર્માણ માટે આહ્વાન કર્યું હતું.

વડાપ્રધાને ભ્રષ્ટાચાર સામે પોતાની સરકારની પ્રતિબદ્ધતા પર પણ ભાર મુક્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, અમારી સરકાર આતંકવાદનો નાબૂદ કરવા માટે પણ દરેક સ્તરે કામ કરશે. અમે મહિલા સશક્તીકરણના મુદ્દે પણ કામ કરવા માગીએ છીએ.

અમારી સરકારનું સપનું છે ‘નયા ભારત’, ‘અત્યાધુનિક ભારત’, ‘ઈઝ ઓફ લિવિંગ’. દેશને આગળ લઈ જવા માટે દરેક ક્ષેત્રમાં કામ કરવુ પડશે. રાષ્ટ્રપતિએ દેશને આધુનિક્તાના ક્ષેત્રે આગળ કઈ રીતે લઈ જવું તેના પર ભાર મુક્યો છે.

પીએમ મોદીએ દેશના અર્થતંત્રને 5 ટ્રીલિયનનું બનાવવા માટે તમામ પક્ષોને આગળ આવવા માટે આહ્વાન કર્યું હતું. ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને હવે જય અનુસંધાન’ નવું સૂત્ર બનાવવું પડશે. ભારત પાસે વિશાળ મેઘાશક્તી રહેલી છે અને યુવાનો ઈનોવેશન કરી રહ્યા છે.

ભારત પાસે શસ્ત્રોના નિર્માણની 200થી વધુ ફેક્ટરીઓ હતી. દેશ આઝાદ થયો ત્યારે પણ ભારત પાસે શસ્ત્રોના નિર્માણની 15થી 18 ફેક્ટરીઓ હતી. અમે ‘મેક ઈન ઈન્ડિયા’ અમલમાં મુકીને દેશને શસ્ત્રો પર આધારિત દેશમાંથી શસ્ત્રોનો નિર્માણ કરતો દેશ બનાવવા માગીએ છીએ.

પીએમ મોદીએ કહ્યું કે, રામમનોહર લોહિયાએ કહ્યું હતું કે ભારત દેશની મહિલાઓની બે મુખ્ય સમસ્યા છે ‘પાણી અને પાયખાના’. અમારી સરકારે આ બંને મુદ્દાઓને ધ્યાનમાં લઈને કામ કર્યું છે. આ વખતની સરકારમાં અમે પાણીની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જ ‘જળશક્તિ મંત્રાલય’નું નિર્માણ કર્યું છે. જળસંચયની સાથે-સાથે જળનું સિંચન પણ કરવું પડશે.

વડાપ્રધાને ગૃહમાં થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ ચર્ચાના સંદર્ભમાં હું સરદાર સરોવર ડેમની કેટલીક હકીકતો રજૂ કરવા માગું છું. સરદાર સરોવર ડેમનો પાયો પંડિત નહેરૂએ નાખ્યો હતો. રૂ.6000 કરોડનો આ પ્રોજેક્ટ અનેક વિધ્નોને કારણે રૂ.60,000 સુધી પહોંચી ગયો. મારી સરકારે આ પ્રોજેક્ટને પુરું કરવાનું કામ કર્યું અને આજે ગુજરાતના ગામે-ગામે તેના દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

આ સરકારની રચના થયે હજુ ત્રણ અઠવાડિયા જ થયા છે, પરંતુ આ સરકારે ત્રણ મહત્વપૂર્ણ લઈ લીધા છે. અમે ચૂંટણીમાં જે વચન આપ્યા હતા તેને માત્ર ત્રણ સપ્તાહમાં જ પુરા કરી લીધા છે.

વડાપ્રધાન મોદીએ શાયરી બોલીને 130 કરોડની જનતા અંગે પોતાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, “જબ હોંસલા બના લિયા ઊંચી ઉડાન કા, ફીર દેખના ફિજુલ હૈ કદ આસમાન કા”.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં બે મહત્વની બાબતો પર ભાર મુખ્ય હતો. ગાંધીજીની 150મી જન્મજયંતી અને આઝાદીના 75 વર્ષ પૂરા થવાની તારીખોનો ઉલ્લેખ કર્યો છે. મારું તમામ પક્ષોને આહ્વાન છે કે આ બંને તારીખોની ઉજવણીમાં મારું-તારું ભુલી જઈને આગળ આવે.

વડાપ્રધાને 25 જૂનનો દિવસ દેશમાં લાદવામાં આવેલી કટોકટીને યાદ કરતા કહ્યું કે, માત્ર પોતાના હિત માટે બંધારણને નાબૂદ કરી દેવાયું હતું. કટોકટી પછી યોજાયેલી ચૂંટણીમાં દેશના લોકોએ લોકશાહી લાગુ કરવા માટે મતદાન કર્યું અને કટોકટી લાગુ કરનારી સરકારને ઉખાડીને ફેંકી દીધી હતી. આ વખતે પણ જનતાએ પૂર્ણ બહુમત આપીને દેશની લોકશાહીને સમર્થન આપ્યું છે.

પીએમ મોદીએ ગૃહમાં કોંગ્રેસના વલણ અંગે પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ માત્ર પોતાના લોકોના અંગે જ વિચાર છે. અમારી સરકાર સૌને સાથે લઈને ચાલે છે. દેશમાં યોગદાન આપનારા દરેક લોકોને અમે સન્માનિત કરીએ છીએ અને એટલા માટે જ અમારી સરકારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રણવ મુખરજીનું દેશમાં તેમણે આપેલા યોગદાન બદલ ‘ભારત રત્ન’થી સન્માન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ દેશને આગળ લઈ જવામાં તમામ સરકારોનું યોગદાન રહ્યું છે. અત્યાર સુધીમાં આવેલા તમામ વડાપ્રધાનોએ દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપ્યું છે.

વડાપ્રદાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, ગૃહમાં કહેવાયું હતું કે અમારી ઊંચાઈઓ સુધી કોઈ પહોંચી શકશે નહીં. પીએમ મોદીએ કહ્યું કે, અમારું કામ કોઈને નીચું દેખાડવાનું કે કોઈની લીટી નાની કરવાનું નથી. અમે તો અમારી લીટીને જ મોટી કરવાનું કામ કરીએ છીએ. તમે ઊંચા પહોંચીને જમીનના મૂળિયા છોડી દીધા છે. અમારી તમને શુભેચ્છા છે કે તમે વધુને વધુ ઊંચે ચડતા રહો.

માત્ર ગરીબોનું કલ્યાણ, ગરીબોનું સશક્તીકરણ, ગરીબોનું ઉત્થાન જ જરૂરી નથી. સામાન્ય માનવીના કલ્યાણની સાથે-સાથે દેશનું ઉત્થાન પણ કરવું જરૂરી છે. દેશને આધુનિક બનાવવા માટે સરકારે બંને પક્ષો પર ધ્યાન આપ્યું. સરકારે હાઈવેથી માંડીને હવાઈ જહાજ અને ટિંકરિંગ લેબથી માંડીને ચંદ્રની સફરની કલ્પના પણ આ સરકારે સાકાર કરી.

અમારી સરકારે સામાન્ય પ્રજાને સુવિધાઓ કેવી રીતે પૂરી પહોંચાડી શકાય તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યું અને તેના પર જ કામ કર્યું. શૌચાલય, વિજળી, રાંધણ ગેસ સહિતના મુખ્ય મુદ્દા ઉઠાવ્યા, તેના પર કામ કર્યું અને સરકારે તેનો પ્રચાર-પ્રસાર કરીને જન-જન સુધી પહોંચાડ્યો.

આપણા દેશમાં થઈ ગયેલા તમામ મહાપુરુષોએ છેવાડાના માનવીને મહત્વ આપવા પર ભાર મુક્યો છે. અમારી સરકારે આ તમામ ગરીબો પર ધ્યાન આપ્યું છે.

વર્તમાન ચૂંટણીમાં કોણ જીત્યું અને કોણ હાર્યું તે મારા માટે મહત્વનું નથી. મારા માટે દેશની 130 કરોડની જનતા અને તેનો પ્રેમ મહત્વપૂર્ણ છે. 2014માં જ્યારે દેશની પ્રજાએ મને પૂર્ણ બહુમત આપ્યો ત્યારે મેં આ ગૃહમાં કહ્યું હતું કે, મારી સરકાર ગરીબોને સમર્પિત છે. પ્રજાએ અમારી સરાકરના 5 વર્ષના કાર્યકાળમાં સંતોષ વ્યક્ત કર્યો અને ઈવીએમ બટન દબાવીને પોતાનું સમર્થન આપ્યું છે.

વડાપ્રધાન મોદીએ નવા લોકસભા અધ્યક્ષને ગૃહનું સંચાલન સારી રીતે કરવા બદલ આભિનંદન પાઠવ્યા હતા અને સાથે જ લોકસભા અધ્યક્ષને સહયોગ આપવા બદલ તમામ પક્ષોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, આ વખતે ચૂંટણીમાં ફરી એક વખત સંપૂર્ણ બહુમત સાથે પાર્ટીને વિજય આપવા બદલ દેશનો આભાર માનું છું. 2019નો જનાદેશ તમામ પ્રકારની કસોટીઓમાંથી પસાર કરીને, ચકાસીને અમારી પાર્ટીને બહુમત આપ્યો છે. આ વિજય સરકારના પાંચ વર્ષના કઠોર પરિશ્રમનું પરિણામ છે.

સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે, સરકાર દ્વારા મેક ઈન ઈન્ડિયા હેઠળ આધુનિક શસ્ત્રો બનાવવા પર ખાસ ભાર મૂકાઈ રહ્યો છે. આધુનિક રાઈફલથી લઈને તોપ, ટેંક, અને ફાઈટર વિમાનો સહિતના સાધનો ભારતમાં બનાવવાની નીતિને સફળતા સાથે આગળ વધારવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ અને તામિલનાડુમાં બની રહેલો ડિફેન્સ કોરિડોર આ મિશનને વધુ મજબુતી આપશે. પોતાની સુરક્ષા અંગેની જરૂરિયાતો પૂરી કરતા રક્ષા ઉપકરણોની નિકાસને પણ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.

રાષ્ટ્રપતિએ પોતાના અભિભાષણમાં કહ્યું કે સૈનિકો અને શહીદોનુ સન્માન કરવાથી સૈનિકોમાં આત્મ ગૌરવ અને ઉત્સાહ વધે છે તથા આપણી સૈન્ય ક્ષમતા મજબુત થાય છે. આથી સૈનિકો અને તેમના પરિજનોનું ધ્યાન રાખવાની દરેક શક્ય કોશિશ થઈ રહી છે. તેમણે કહ્યું કે વન રેંક વન પેન્શનના માધ્યમથી પૂર્વ સૈનિકોના પેન્શનમાં વધારો કરવાના તથા તેમના સ્વાસ્થ્ય સુવિધાઓનો વિસ્તાર કરીને, તેમના જીવનને વધુ સારું બનાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here