અંકારા: પુરવઠા શૃંખલામાં વિક્ષેપને કારણે તુર્કી ખાંડ અને તેલની અછતના સંકટનો સામનો કરી રહ્યું છે. જેના કારણે તુર્કી દેશમાં ઘણી સુપરમાર્કેટ દ્વારા તેલ અને અન્ય મૂળભૂત ખાદ્ય ચીજોની ખરીદીની માત્રા મર્યાદિત કરવાનું શરૂ કરી દીધું છે. રિટેલર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ગાલિપ અયાકના જણાવ્યા અનુસાર, સપ્લાય ચેન પ્રભાવિત થવાને કારણે ગ્રાહક દીઠ રસોઈ તેલના વેચાણને મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા અઠવાડિયે, સુપરમાર્કેટ વેચાણ માટે ખાંડ પ્રદાન કરવામાં નિષ્ફળ ગયા. બીજી તરફ દેશના નાગરિકો લોટ, ખાંડ અને તેલ સહિતની મૂળભૂત વસ્તુઓનો સ્ટોક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
12 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્ડોગન દ્વારા હસ્તાક્ષર કરાયેલા એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા તુર્કીશ સુગર રિફાઈનરી કોર્પોરેશન (તુર્કસેકર) ને કૃષિ મંત્રાલય સાથે સંલગ્ન કોર્પોરેશન બનાવવામાં આવ્યું હતું. કોર્પોરેશને તેના ભાવ એકસરખા રાખ્યા હતા, જ્યારે ખાનગી કંપનીઓએ ભાવમાં 40 ટકાનો વધારો કર્યો હતો. તુર્કસેકરે તેના ભાવમાં 25 ટકાનો વધારો કર્યો છે, જો કે પુરવઠો હજુ સુધી માંગ સાથે મેળ ખાતો નથી.