કુડ્ડલોર: તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને શનિવારે કુડ્ડલોર જિલ્લાના વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને જરૂરિયાતમંદ લોકોને રાહત સામગ્રીનું વિતરણ કર્યું. મુખ્યમંત્રી સ્ટાલિને કુડ્ડલોર જિલ્લાના કુરિંજીપાડી વિસ્તારમાં પાણી ભરાવા અને કૃષિ વિસ્તારોની સમીક્ષા કરી. સ્ટાલિન મયલાદુથુરાઈ, નાગાપટ્ટિનમ, તિરુવરુર અને તંજોરના ડેલ્ટા જિલ્લાઓની મુલાકાત લેવાની અને પરિસ્થિતિની સમીક્ષા કરવાની યોજના ધરાવે છે. છેલ્લા અઠવાડિયાથી, રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે, જ્યારે વરસાદે અનેક જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે.
પ્રાદેશિક હવામાન કેન્દ્ર,ચેન્નઈ દ્વારા જારી કરવામાં આવેલી ચેતવણી અનુસાર, આગામી બે કલાકમાં કન્યાકુમારી અને તિરુનેલવેલી જિલ્લામાં એક કે બે જગ્યાએ વાવાઝોડાની સંભાવના છે. અગાઉ મંગળવારે, સીએમ સ્ટાલિને જાહેરાત કરી હતી કે, જ્યાં સુધી તીવ્ર વરસાદનો સમયગાળો સમાપ્ત ન થાય ત્યાં સુધી, અમ્મા કેન્ટીન દ્વારા મફત ભોજનનું વિતરણ કરવામાં આવશે. દરમિયાન, ભારતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કન્યાકુમારી અને તિરુનેલવેલી જિલ્લામાં શનિવારે મધ્યમ વરસાદ સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
શુક્રવારે તમિલનાડુમાં અવિરત વરસાદની સ્થિતિ વિશે બોલતા, IMD વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ માહિતી આપી હતી કે, અમે ચેન્નાઈમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ પાછું ખેંચી લીધું છે. કેરળ અને તટીય આંધ્રપ્રદેશમાં વરસાદની સંભાવના છે. 13 અને 14 નવેમ્બરે દક્ષિણ આંદામાન સમુદ્ર પર નવી સિસ્ટમ વિકસિત થવાની અપેક્ષા છે, અમે તેનું નિરીક્ષણ કરી રહ્યા છીએ.