પ્રધાનમંત્રીએ ગુજરાતના જૂનાગઢમાં આશરે રૂ. 3580 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં જૂનાગઢમાં આશરે રૂ. 3580 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો હતો. જૂનાગઢના આ પ્રોજેક્ટ્સમાં ખૂટતી કડીઓનાં નિર્માણ સાથે કોસ્ટલ હાઇવેમાં સુધારો, પાણી પુરવઠાના બે પ્રોજેક્ટ અને એગ્રી પ્રોડક્ટ્સના સંગ્રહ માટે ગોડાઉન સંકુલનાં નિર્માણનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ માધવપુરનાં શ્રી કૃષ્ણ રૂક્ષ્મણિ મંદિરના સર્વાંગી વિકાસ તથા પોરબંદર મત્સ્ય બંદર પર સુએઝ અને પાણી પુરવઠાના પ્રોજેક્ટ્સ તથા મેન્ટેનન્સ ડ્રેજિંગ માટે પણ શિલારોપણ કર્યું હતું. ગીર સોમનાથ ખાતે પ્રધાનમંત્રીએ માઢવડ ખાતે માછીમારી બંદરના વિકાસ સહિત બે પ્રોજેકટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ હળવાશમાં જણાવ્યું હતું કે, દિવાળી અને ધનતેરસનું આગમન વહેલું થયું છે અને જૂનાગઢની જનતા માટે નવાં વર્ષની ઉજવણીની તૈયારીઓ અત્યારથી જ ચાલી રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ લોકોનો આભાર વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ લોકોનો એમનાં આશીર્વાદ બદલ આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ અગાઉના સમયમાં રાજ્યનાં બજેટ કરતાં પણ વધારે મૂલ્ય ધરાવતાં વિવિધ પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને શિલાન્યાસ પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, આ બધું ગુજરાતની જનતાનાં આશીર્વાદને કારણે થયું છે.

પ્રધાનમંત્રીએ જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર સહિતના વિસ્તારને ગુજરાતનું પ્રવાસન પાટનગર ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજે જે પરિયોજનાઓનું આયોજન થઈ રહ્યું છે, તેનાથી રોજગારી અને સ્વરોજગારીની વિશાળ તકોનું સર્જન થશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે મારી છાતી ગર્વથી ફૂલી ગઈ છે.” આનો શ્રેય પ્રધાનમંત્રીએ ગુજરાતનાં લોકો અને તેમનાં આશીર્વાદને આપ્યો હતો. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, કેન્દ્રમાં જવાબદારી લેવા માટે તેમણે ગુજરાત છોડ્યું એ પછી પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ટીમે ગુજરાતનું ધ્યાન એ જ મૂલ્યો અને પરંપરાઓ સાથે સંભાળ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અત્યારે ગુજરાત ઝડપથી વિકાસ કરી રહ્યું છે.”

તેમણે દુષ્કાળ અને આ વિસ્તારમાંથી સ્થળાંતરના મુશ્કેલ સમયને યાદ કર્યો હતો. તેમણે કહ્યું કે સમર્પણ અને પ્રામાણિકતા સાથે કામ કરતા લોકોને પ્રકૃતિ પણ મદદ કરે છે કારણ કે છેલ્લા બે દાયકામાં આબોહવાની પ્રતિકૂળતાઓ પણ ઓછી થઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “એક તરફ લોકોનાં આશીર્વાદ અને બીજી તરફ પ્રકૃતિનાં સાથસહકારથી લોકોની સેવામાં પોતાનું જીવન વ્યતીત કરવાનો આનંદ થાય છે.” પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, મા નર્મદા દૂરનું યાત્રાધામ છે, લોકોની મહેનતથી મા નર્મદા સૌરાષ્ટ્રના ગામડાંઓ સુધી આશીર્વાદ આપવા પહોંચી છે. પ્રધાનમંત્રીએ સંપૂર્ણ સમર્પણ સાથે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા બદલ જૂનાગઢના ખેડૂતોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઉગાડવામાં આવતી કેસર કેરીનો સ્વાદ દુનિયાના દરેક ભાગ સુધી પહોંચી રહ્યો છે.

ભારતના વિશાળ દરિયાકિનારાના પ્રદેશો વિશે બોલતા પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, ભારતના દરિયાકાંઠાનો મોટો ભાગ ગુજરાતનો છે. ભૂતકાળની સરકારોને યાદ કરીને કે જેઓ સમુદ્રને એક બોજાની જેમ જોતી હતી અને તેની તાજી હવાને ઝેરની જેમ ગણતી હતી, શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે સમય બદલાઈ ગયો છે. “અગાઉ પ્રતિકૂળતા તરીકે ગણવામાં આવતા એ જ સમુદ્રો હવે આપણા પ્રયત્નોનો લાભ આપી રહ્યા છે.” પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, મુશ્કેલીઓથી ઘેરાયેલું હતું એવું કચ્છનું રણ હવે ગુજરાતના વિકાસ માટે ભવિષ્યનાં માર્ગે અગ્રેસર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમણે 25 વર્ષ અગાઉ ગુજરાતના વિકાસ માટે જે સંકલ્પ લીધો હતો, તે હવે ફળ્યો છે.

પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, મુખ્યમંત્રી તરીકે તેમણે માછીમાર સમુદાયનાં કલ્યાણ, સુરક્ષા, સુવિધાઓ અને માળખાગત સુવિધા માટે સાગર ખેડુ યોજના શરૂ કરી હતી. આ પ્રયાસોને કારણે રાજ્યમાંથી માછલીની નિકાસમાં સાત ગણો વધારો થયો છે. તેમણે તેમના મુખ્ય પ્રધાનના દિવસો દરમિયાન જાપાની પ્રતિનિધિમંડળ સાથેનો એક પ્રસંગ યાદ કર્યો જ્યારે પ્રતિનિધિમંડળના સભ્યોએ મત્સ્યોદ્યોગની પહેલ પરનું પ્રેઝન્ટેશન બંધ કરવાનું કહ્યું હતું, કારણ કે સ્ક્રીન પર પ્રખ્યાત સુરમાઈ માછલી જોયા પછી તેઓ પોતાની જાતને નિયંત્રિત કરી શક્યા ન હતા અને સ્વાદ માટે પૂછ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, સુરમાઈ માછલી હવે જાપાનનાં બજારમાં જાણીતી છે અને દર વર્ષે નોંધપાત્ર નિકાસ થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ડબલ એન્જિન ધરાવતી સરકાર વિકાસલક્ષી કાર્યોમાં બમણી ગતિ લાવી છે.” આજે જ ત્રણ ફિશિંગ હાર્બર્સ પર કામ શરૂ થઈ ગયું.

પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સૌપ્રથમ વખત ખેડૂતો, પશુપાલન કામદારો અને સાગર ખેડુ માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના સાથે જોડવામાં આવ્યાં છે અને તેનાથી બૅન્ક પાસેથી લોન મેળવવાની પ્રક્રિયા સરળ થઈ છે. “તેનાં પરિણામે 3.5 કરોડ લાભાર્થીઓ તેની સેવાઓનો લાભ લઈ રહ્યા છે,” એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, તેનાથી સમાજના ગરીબ અને જરૂરિયાતમંદોને પોતાનું અને તેમના પરિવારો માટે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવાની શક્તિ મળી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જે લાભાર્થીઓએ સમયસર તેમની લોન ભરપાઈ કરી છે તેમના માટે વ્યાજ માફ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કિસાન ક્રેડિટ કાર્ડથી જીવન ઘણું સરળ બન્યું છે, ખાસ કરીને આપણાં પશુપાલન કામદારો અને માછીમારોનાં સમુદાય માટે.”

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “છેલ્લાં બે દાયકામાં દરિયાઈ બંદરોના જબરદસ્ત વિકાસે ગુજરાત માટે સમૃદ્ધિનાં દ્વાર ખોલ્યાં છે. તેણે ગુજરાત માટે નવી સંભાવનાઓ ખોલી છે.” સાગર માલા યોજના પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, સરકારે માત્ર દરિયાઈ બંદરોનો વિકાસ કરીને જ નહીં, પણ બંદર-સંચાલિત વિકાસને અમલમાં મૂકીને ભારતનાં દરિયાકિનારા પર માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાની પહેલ કરી છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “દરિયાકાંઠે ગુજરાતે આના આધારે અનેક નવા પ્રોજેક્ટ્સ જોયા છે.” પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “જૂનાગઢ ઉપરાંત નવો કોસ્ટલ હાઇવે પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબીના અનેક જિલ્લાઓમાંથી પસાર થઈને મધ્ય અને દક્ષિણ ગુજરાત સુધી પહોંચવા જઈ રહ્યો છે, જે ગુજરાતનાં સમગ્ર દરિયાકિનારાની કનેક્ટિવિટીને મજબૂત કરશે.”

પ્રધાનમંત્રીએ રાજ્યની માતાઓ અને બહેનો દ્વારા કરવામાં આવેલાં જબરદસ્ત કાર્યોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, તેઓ રક્ષણાત્મક ઢાલ બની જાય છે. છેલ્લાં 8 વર્ષમાં કેન્દ્ર સરકારનાં મહિલા-સંચાલિત વિકાસ માટેનાં પ્રયાસો વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, માતાઓ અને બહેનોનાં જીવનને સરળ બનાવવા માટે દરેક સ્તરે પગલાં સુનિશ્ચિત કરવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રીએ મહિલાઓનાં સ્વાસ્થ્ય અને સન્માનમાં સુધારો કરવા તરફ ધ્યાન દોર્યું હતું તથા સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કરોડો શૌચાલયોનાં નિર્માણને તેનો શ્રેય આપ્યો હતો. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ઉજ્જવલા યોજના એ મહિલાઓને માત્ર સમય બચાવીને જ નહીં, પણ તેમનાં સ્વાસ્થ્યની સાથે-સાથે સંપૂર્ણ પરિવારનાં સ્વાસ્થ્યમાં પણ સુધારો કરવામાં મદદરૂપ થાય છે.

પ્રધાનમંત્રીએ અગાઉની સરકારોના સમયને નકારી કાઢ્યો હતો, જે ગામમાં કેટલાક પાણીના હેન્ડપંપ પહોંચાડ્યા પછી ઠાઠમાઠ અને શો સાથે ઉજવણી કરતી અને કહ્યું હતું, “આજે તમારો પુત્ર દરેક ઘરમાં પાઇપ દ્વારા પાણી પહોંચાડે છે.” પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, માતાઓને ગર્ભાવસ્થા દરમિયાન હજારો પ્રકારની મદદ કરવામાં આવે છે, જેથી તેઓ પોષણયુક્ત આહાર લઈ શકે. તેમણે ઉમેર્યું હતું કે, “અમારી સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જે મકાનો આપી રહી છે, તેમાંથી મોટા ભાગનાં મકાનો મહિલાઓનાં નામે છે.” પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “આજે અમારી સરકાર સ્વ-સહાય જૂથો મારફતે ગામ-ગામમાં મહિલા ઉદ્યોગસાહસિકતાને વિસ્તૃત વિસ્તરણ આપી રહી છે. દેશભરમાં 8 કરોડથી વધુ બહેનો સ્વસહાય જૂથો સાથે જોડાયેલી છે, જેમાંથી લાખો ગુજરાતની છે. એ જ રીતે મુદ્રા યોજના હેઠળ અનેક બહેનો પહેલી વાર ઉદ્યોગસાહસિક બની છે.

દેશના યુવાનો પર ભાર મૂકવા અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લાં 8 વર્ષથી ગુજરાત સહિત દેશભરમાં યુવાનોની ક્ષમતા વધારવા માટે અમે અનેક પગલાં લીધાં છે. શિક્ષણથી લઈને રોજગાર અને સ્વરોજગારી સુધીનાં દરેક પાસામાં નવી તકો ઊભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. આજે સરકાર યુવાનોને ઉદ્યોગસાહસિકતાનાં દરેક પગલે મદદ કરી રહી છે. પ્રધાનમંત્રીએ દિવસની શરૂઆતમાં ગાંધીનગરમાં ડિફએક્સ્પો2022નું ઉદઘાટન કર્યું હતું, તે વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એ દિવસ દૂર નથી, જ્યારે ગુજરાત ટેન્કોનું ઉત્પાદન કરશે.

પ્રધાનમંત્રીએ શિક્ષણનાં ક્ષેત્રમાં રાજ્ય સરકારે ભરેલી હરણફાળ પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 8 વર્ષ દરમિયાન દેશમાં સેંકડો યુનિવર્સિટીઓ ખુલી છે. ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની અનેક ગુણવત્તાસભર સંસ્થાઓ ખુલી રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ગુજરાતી ભાષામાં નવી તકો લાવી રહી છે. તેવી જ રીતે ડિજિટલ વિકાસથી ગુજરાતના યુવાનો માટે નવી તકો ઊભી થઇ રહી છે. “ડિજિટલ ઇન્ડિયાએ ગુજરાતના યુવાનોને તેમની વિવિધ પ્રતિભાઓને નિખારવા માટે નવી તકો આપી છે, આનાથી રોજગારની નવી તકો ઊભી થઈ છે. યુવાનો પાસે મોટાં બજારમાં પ્રવેશ છે. અને આ સસ્તાં મેડ ઇન ઇન્ડિયા મોબાઇલ ફોન અને સસ્તી ડેટા સુવિધાઓને કારણે થઈ રહ્યું છે,” એમ તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, વધતી જતી માળખાગત સુવિધાઓ મોટા પાયે પ્રવાસનને પ્રોત્સાહન આપી રહી છે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં હવે એક સૌથી મોટા રોપ-વેઝમાંનો એક કાર્યરત છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઘણાં વર્ષો પછી, આ વર્ષે એપ્રિલમાં, કેશોદ એરપોર્ટથી ફરી ફ્લાઇટ શરૂ થઈ છે. જ્યારે કેશોદ એરપોર્ટને વધુ વિકસિત કરવામાં આવશે, ત્યારે જ્યારે તે કાર્ગો સુવિધા બનશે, ત્યારે અહીંથી આપણાં ફળો, શાકભાજી, માછલી અને અન્ય ઉત્પાદનોને બહાર મોકલવાનું સરળ બનશે. કેશોદ એરપોર્ટનાં વિસ્તરણથી દેશ અને દુનિયાને અહીં આવાં તમામ સ્થળોએ વધુ પ્રવેશ મળશે, અહીંનું પ્રવાસન વધુ વધશે, એમ તેમણે ઉમેર્યું હતું.

અવકાશ, વિજ્ઞાન કે રમતગમતનાં ક્ષેત્રોમાં રાષ્ટ્રીય સિદ્ધિઓમાં દેશ એક તરીકે આનંદ અનુભવે છે, જો કે, પ્રધાનમંત્રીએ ચોક્કસ વર્ગો દ્વારા ગુજરાત અને તેના લોકોની સિદ્ધિઓનું રાજકીયકરણ કરવાનાં વધતાં વલણ પર સંતાપ વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “કેટલાક રાજકીય પક્ષોએ ગુજરાતને ગાળો દેવાને પોતાની રાજકીય વિચારધારા બનાવી દીધી છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે ક્યારેય ગુજરાતીઓનું કે દેશનાં કોઈ પણ રાજ્યના લોકોનું અપમાન સહન નહીં કરીએ. આપણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને, સરદાર પટેલનાં સપનાને મંદ ન થવાં દેવાં જોઈએ. તેમણે તિરસ્કારવાદને આશામાં રૂપાંતરિત કરવાની અને વિકાસ દ્વારા જૂઠાણાનો સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું હતું કે, ગુજરાતની એકતા તેની તાકાત છે.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, સંસદસભ્ય શ્રી રાજેશભાઈ ચૂડાસમા અને શ્રી રમેશ ધડુક તથા ગુજરાત સરકારના મંત્રીઓ શ્રી ઋષિકેશ પટેલ અને શ્રી દેવભાઈ માલમ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

પ્રધાનમંત્રીએ ખૂટતી કડીઓનાં નિર્માણની સાથે સાથે તટીય રાજમાર્ગોની સુધારણા માટે શિલારોપણ પણ કર્યું હતું. આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 13 જિલ્લાઓમાં કુલ 270 કિલોમીટરની લંબાઈ ધરાવતાં હાઇવેને આવરી લેવામાં આવશે.

પ્રધાનમંત્રીએ જૂનાગઢમાં પાણી પુરવઠાની બે પરિયોજનાઓનો અને કૃષિ ઉત્પાદનોનાં સંગ્રહ માટે એક ગોડાઉન સંકુલનું નિર્માણ કરવા શિલાન્યાસ કર્યો. પ્રધાનમંત્રીએ પોરબંદરમાં માધવપુરમાં શ્રી કૃષ્ણ રૂક્ષમણિ મંદિરનાં સંપૂર્ણ વિકાસ માટે શિલારોપણ કર્યું હતું. તેમણે પોરબંદર ફિશરી હાર્બર ખાતે ગટર અને પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ તથા જાળવણી ડ્રેજિંગ માટેનો શિલાન્યાસ પણ કર્યો હતો. ગીર સોમનાથ ખાતે પ્રધાનમંત્રીએ માઢવડ ખાતે માછીમારી બંદરના વિકાસ સહિત બે પ્રોજેકટ્સનું ખાતમુહૂર્ત કર્યું હતું.

(Source: PIB)

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here