મધ્ય-પૂર્વમાં તંગદિલીથી વિદેશી ફંડ્સ સામે જોખમ

ભારતના શેરબજારમાં વિદેશી નાણાપ્રવાહમાં ઘટાડો થવાની ધારણા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલીને પગલે ઊભરતાં બજારો માટે લાંબા સમય સુધી રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ ઊભું થવાની ધારણા છે. ક્રૂ઼ડ ઓઇલની આયાત પર ઊંચો આધાર ધરાવતા ભારતને તેનાથી સૌથી વધુ અસર થવાની ધારણા છે, એમ બજારના નિરીક્ષકોએ જણાવ્યું હતું.

2019માં ભારતના શેરબજારમાં 2013 પછીનો સૌથી વધુ વિદેશી નાણાપ્રવાહ આવ્યો હતો. 14 અબજ ડોલરનો આ નાણાપ્રવાહ મુખ્ય ઊભરતાં બજારોમાં પણ સૌથી વધુ હતો.

ઊભરતાં બજારોના નિષ્ણાત માર્ક મોબિયસે જણાવ્યું હતું કે, “જો ઇરાન ઓઇલ સપ્લાયમાં દરમિયાનગીરી કરશે તો ક્રૂડ ઓઇલના ભાવમાં ઉછાળો આવશે અને તેનાથી ભારતને અસર થશે. આ સ્થિતિમાં બજારમાં વિદેશી નાણાપ્રવાહને પણ નેગેટિવ અસર થશે. મને ઇક્વિટીમાંથી નાણાં પાછાં ખેંચી લેવામાં આવે તેવી શક્યતા લાગતી નથી, પરંતુ તંગદિલીમાં વધારો થશે તો ભાવિ નાણાપ્રવાહને અસર થશે.”

આલિયાન્ઝના ચીફ ઇકોનોમિક એડ્વાઇઝર મોહંમદ અલ-એરિયને સોમવારે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “અમેરિકા અને ઇરાન વચ્ચેની ગતિવિધિને પગલે અત્યાર સુધી
રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ આવ્યું છે. આ તંગદિલીથી એસેટ ક્લાસને અસર થવાની ધારણા છે.”

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ)એ સાવધ વલણ અપનાવ્યું હોવાનો પુરાવો સોમવારના ટ્રેડિંગમાં મળે છે. સોમવારે વિદેશી ફંડ્સે ભારતના શેરબજારમાં આશરે ₹104 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. સપ્ટેમ્બરના પ્રારંભથી અમેરિકામાં ફેડરલ રિઝર્વે રેપોમાં ફેરફાર ચાલુ કર્યો હતો. તેનાથી સિસ્ટમમાં જંગી લિક્વિડિટી ઠાલવવામાં આવી હતી. અમેરિકા અને ચીન વચ્ચે પણ વેપાર સમજૂતીના સંકેત મળ્યા હતા. તેનાથી ઊભરતાં બજારો માટે રિસ્ક-ઓન સેન્ટિમેન્ટ ચાલુ થયું હતું.

કોટક ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝના કો-હેડ સંજીવ પ્રસાદે જણાવ્યું હતું કે, “આગામી થોડાં સપ્તાહ માટે બજારમાં રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ રહેશે અને રોકાણકારો ભાવિ ગતિવિધિને આધારે નિર્ણય કરશે. જો અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલીમાં વધારો થશે તો ઇક્વિટી માટે લાંબા સમય સુધી રિસ્ક-ઓફ સેન્ટિમેન્ટ ઊભું થશે.

ક્રૂડ ઓઇલના ભાવ પણ લાંબા સમય સુધી ઊંચી સપાટીએ રહી શકે છે. ભારત માટે બેવડું જોખમ છે. જો ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા રહેશે તો વેપારખાધમાં વધારો થશે અને તેની સાથે નાણાપ્રવાહનો ટ્રેન્ડ પણ બદલાશે. જો ક્રૂડ ઓઇલના ભાવ 80 ડોલરને પાર કરશે અને ટકી રહે તો ભારત માટે વધુ પડકારો આવશે.”

ભારતનું અર્થતંત્ર તીવ્ર નરમાઈનો સામનો કરી રહ્યું છે ત્યારે અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલી ઊભી થઈ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરના ડેટા મુજબ ભારતનો જીડીપી વૃદ્ધિ ઘટીને છ વર્ષના નીચા સ્તરે ગયો છે. નિષ્ણાતો જણાવે છે કે ભારત માટે તે સારા સંકેત નથી, કારણ કે સરકાર પાસે પણ આર્થિક નરમાઈનો સામનો કરવા માટે પૂરતાં સંસાધનો નથી.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here