નવી દિલ્હી: ભારતમાં હવે 100% ઈથનોલ આધારિત કાર રસ્તા પર દોડશે. આવતા સપ્તાહમાં આ કાર રસ્તા પર દોડતી જોવા મળશે. 29 ઓગસ્ટના રોજ, હું લોકપ્રિય ટોયોટાની ઇનોવા કાર લોન્ચ કરવા જઇ રહ્યો છું જે 100 ટકા ઇથેનોલ પર ચાલે છે, એમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ મિન્ટ સસ્ટેનેબિલિટી સમિટને સંબોધિત કરતી વખતે જણાવ્યું હતું.
આ કાર વિશ્વની પ્રથમ BS-VI (સ્ટેજ-II), ઇલેક્ટ્રિફાઇડ ફ્લેક્સ-ઇંધણ વાહન હશે.
ગયા વર્ષે હાઈડ્રોજનથી ચાલતી કાર, Toyota Mirai EV લોન્ચ કરવામાં આવી હતી. ગડકરીએ જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલના ભાવમાં થયેલા વધારા પછી તેમણે 2004માં બાયોફ્યુઅલમાં રસ લેવાનું શરૂ કર્યું હતું અને આ હેતુ માટે બ્રાઝિલની મુલાકાત લીધી હતી. બાયોફ્યુઅલ અજાયબીઓ કરી શકે છે અને પેટ્રોલિયમની આયાત પર ખર્ચવામાં આવતા વિદેશી હૂંડિયામણની મોટી રકમ બચાવી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ગડકરીએ કહ્યું કે, જો આપણે આત્મનિર્ભર બનવું હોય તો આ તેલની આયાત શૂન્ય પર લાવવી પડશે. હાલમાં તે 16 લાખ કરોડ રૂપિયા છે, અને તે અર્થતંત્ર માટે મોટું નુકસાન છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે વધુ ટકાઉ પગલાં લેવાની જરૂર છે કારણ કે દેશમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. આ વર્ષના અંત સુધીમાં વધુ 65 હજાર કરોડના રોડના કામો પુરા થશે અને તેમાં દ્વારકા એક્સપ્રેસ વે પણ સામેલ છે એમ ગડકરીએ જણાવ્યું હતું.