નાગપુરમાં રોડમાર્ક ફાઉન્ડેશન દ્વારા આયોજિત માર્ગ સલામતી પરના સેમિનારમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર આગામી પાંચ વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ વાહનોને તબક્કાવાર દૂર કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે તેમણે ઇલેક્ટ્રિક, ઇથેનોલ, હાઈડ્રોજન અને ફ્લેક્સ એન્જીનથી વધુને વધુ વાહનો બનાવવા અને તે વાહનોનો દેશમાં ઉપયોગ કરવાની વાત કરી છે. “આ ફેરફારો સાથે, દેશ અશ્મિભૂત ઇંધણની આયાત પર 16 લાખ કરોડ રૂપિયાની બચત કરશે,” તેમણે કહ્યું.
ઇથેનોલના ઉપયોગ માટેની અપીલને પુનરાવર્તિત કરતાં ગડકરીએ કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ઇનોવા લોન્ચ કરવાની યોજના ધરાવે છે, જે સંપૂર્ણપણે આ ઇંધણ પર ચાલશે. જો લોકો ઇથેનોલ પર ચાલતી કાર ખરીદે છે, તો તે તેનું ઉત્પાદન કરતા ખેડૂતોને સીધો ટેકો આપશે. લોકોને માત્ર 15 રૂપિયા પ્રતિ લીટરમાં આ ઈંધણ મળશે. આનાથી પ્રદૂષણને ઘણી હદ સુધી ઘટાડવામાં મદદ મળશે.
આ સાથે તેમણે એમ પણ કહ્યું કે નાગરિકોએ માત્ર સ્ટાર રેટેડ વાહનોને જ પ્રાધાન્ય આપવું જોઈએ. અમે શહેરમાં CNG અને LNG પંપ ખોલ્યા છે. બજાજ અને TVS એ પણ આ ઈંધણ પર ચાલતા થ્રી વ્હીલર લોન્ચ કર્યા છે.